ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.૧૦મી માર્ચથી શરૂ થશે કેશુડા ટ્રેઇલ

હિન્દ ન્યુઝ, રાજપીપલા

      ભારતવર્ષના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની પરીકલ્પના સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે અત્યારસુધી દેશ-વિદેશના 1.75 કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે.એકતાનગર વિસ્તાર કેસુડાના લગભગ ૬૫,૦૦૦ કરતા વધુ વૃક્ષથી સમૃધ્ધ છે અને વસંતઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે,માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટ્રેઇલની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેસુડા! ભાગ્યે જ કોઇ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. કેશુડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું અતિ સામાન્ય પણ તેમ છતા અતિ વિશિષ્ટ અંગ છે. ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમન થતા ની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેશુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે.કેશરી કલર ના ફૂલો આપણા મન ને શાંતિ આપે છે. સાથે આ સમય દરમ્યાન વન વિસ્તારનું વાતવરણ સોળેકળાએ ખીલી ઉઠે છે. તેથી જ તો કેશુડાના સોંદર્યનું મોહક વર્ણન સાહિત્યો અને કાવ્યોમાં ખુબ જ કરવામાં આવ્યુ છે.

“ખીલ્યો પલાશ પુર બહારમાં રે લોલ,

સઘળી ખીલી છે વનવેલ;

ટહુકે શી આમ્રકુંજ કોકિલા રે લોલ,

ટહુકે મયુર અને ઢેલ !

બંધુ બેનીઓ ! ચાલો વસંતૠતુ માણવા.”

— સ્વ. નરહરિ ભટ્ટ

કેશુડા ટ્રેઇલ માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેશુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેક કરશે.

સમય સ્લોટ્સ અને ટિકિટિંગ વિગતો:

ટૂર પીકઅપ પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB) અને

ટૂર સમાપ્ત પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB)

પ્રવાસનો સમય – સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦

(મુલાકાતીઓ તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકે છે.)

ટિકિટ www.soutickets.in પરથી ઓનલાઇન બુક કરી શકાય છે.

મહત્વ અને ઉપયોગઃ

૧) સાંસ્કૃતિક મહત્વ – આ વૃક્ષના પાંદડાંમાંથી પતરાળાં અને વાટકી બનાવવામાં આવે છે. રંગોનો તહેવાર “ધૂળેટી” માં તેના ફૂલોનાં રંગ વાપરવાની વર્ષો જુની પરંપરા છે. તેનાં ફૂલોને પાણીમાં નાખીને તેનાથી ધૂળેટી પણ રમવામાં આવે છે. તેનાં ફૂલના રંગ વડે “ગુલાલ” પણ બનાવવામાં આવે છે. ભારતમાં, આ વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે. દક્ષિણ ભારતમાં આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે.

૨) ઔષધીય ગુણો – આ એક મહત્વનું ઔષધિય વૃક્ષ છે અને તેના જુદા જુદા ભાગોનો ઉપયોગ પરંપરાગત દવા પદ્ધતિ જેમ કે આયુર્વેદ, સિદ્ધ અને યુનાનીમાં વિવિધ રોગોની સારવાર માટે થાય છે.કેસૂડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે. નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે. કેસૂડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી ઓરી,અછબડા,લૂ અને ગરમીના રોગથી રક્ષણ મળે છે.

આકરા ઉનાળાના પ્રારંભે કેસુડાના ફૂલ રમ્ય અને સહ્ય બનાવે છે.સફેદ કેસુડા પણ થાય છે જે ખૂબ જૂજ જોવા મળે છે.કેસુડાના ફૂલ પાણીમાં નાંખીને સ્નાન કરવા થી ઠંડક મળે છે અને ચામડી માટે પણ તે ઔષધ રૂપ બને છે.મધ્ય ગુજરાતના નર્મદા,છોટાઉદેપુર, પંચમહાલ,દાહોદ ના જંગલોમાં તેની બહુતાયત છે.

મોંઘા કેસરથી કરવામાં આવતા સ્નાનની અહલાદકતાની અનુભૂતિ કેસુડાના પાણી સાવ સસ્તામાં કરાવે છે.આદિવાસી સમુદાય હવે હોળીના તહેવારોના ટાણે શહેરી સડકો પર કેસુડાના ફૂલો વેચીને આછીપાતળી પૂરક આવક મેળવે છે.

આ સફરમાં આપની સાથે હશે નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા( ગાઈડ ) તેઓ આપને કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે.

Related posts

Leave a Comment